અમરેલી જિલ્લાનાં 11 તાલુકામાં 18 સ્થળે રક્તદાન કેમ્પ યોજાશે

અમરેલી,

આયુષમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અમરેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ કે, તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ નાગરિકોને તેમના ગામ સુધી મળી રહે અને વિવિધ આરોગ્ય સંભાળ યોજનાઓ વિશે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે ઉદ્દેશ્ય સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયુષમાન ભવ: અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષા સુધી આવી શકતા નથી તેમના માટે તાલુકા કક્ષાએ આરોગ્ય સંબંધિત અભિયાન શરુ રહેશે જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લાભ મળી તે માટે ગુરુવારે વિશેષ સેવાઓ ઉપલબ્ધ રહેશે. મહત્વનું છે કે, આગામી તા.13 સપ્ટેમ્બર, 2023ને બુધવારના રોજ રાષ્ટ્રપતિશ્રી દ્વારા આયુષમાન ભવ: કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરે કાર્યક્રમો યોજવામાં આવનાર હોય છે. એક અંગદાન થકી આઠ જેટલા નાગરિકોને જીવનદાન મળી રહે છે તેથી અંગદાન માટે પ્રતિજ્ઞા લેવામાં આવશે.જિલ્લામાં 5,79,984 નાગરિકો કાર્ડ ધરાવે છે ત્યારે બાકી રહેતા નાગરિકોને આ કાર્ડ મળી રહે તે માટે જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા ખાસ અભિયાન આ કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવશે. આયુષમાન ભવ: કાર્યક્રમ અંતર્ગત આયુષમાન કાર્ડ રિન્યુઅલ અને આયુષમાન કાર્ડ ન હોય તેવાને નવા કાર્ડ, આભા કાર્ડ કાઢવા સહિતની કામગીરીઓને આવરી લેવામાં આવશે. ગ્રામ પંચાયત, સામૂહિક કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના સ્થળો પર આયુષમાન કાર્ડ કાઢી આપવામાં આવશે. આગામી તા.18 થી તા.21 સપ્ટેમ્બર, 2023 દરમિયાન જિલ્લાના 11 તાલુકાઓના 18 સ્થળો પર રક્તદાન કેમ્પ યોજાશે.જિલ્લાના 45 આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય મેળાઓ યોજવામાં આવશે. બિનચેપી રોગો, ટીબી, રક્તપિત અને અન્ય ચેપી રોગો, માતા અને બાળ આરોગ્ય તેમજ પોષણ, આંખ સંભાળ અને એનેમિયા સહિતના રોગોની સારવાર, આરોગ્ય માટે જાગૃત્તિ સહિતની બાબતોને આવરી લેવામાં આવશે. આરોગ્ય ઉપરાંત સહકારી મંડળીઓ, ગ્રામ પંચાયત,આંગણવાડીકાર્યકરોસહિતનાઓ આ કામગીરી માટે સેવાઓ પૂરી પાડશે. આગામી તા.2 ઓકટોબર, 2023ના રોજ આયુષમાન સભા યોજવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં યોજાનાર ગ્રામસભાઓમાં ટીબી મુક્ત ગામ અભિયાન અંતર્ગત ટીબીની સારવાર અને ટીબી મુક્ત ગામના સંકલ્પને સાધવા માટેની પ્રતિજ્ઞા સાથે વિવિધ કાર્યક્રમો થશે. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે જણાવ્યુ કે, વધુમાં વધુ નાગરિકો પીએમજેએવાય કાર્ડ મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર કટિબધ્ધ છે. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા .