અમરેલી જિલ્લામાં કર્મચારીઓની આકસ્મિક તપાસ કરતા ડીડીઓ

અમરેલી,
જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવની સૂચનાના પગલે જિલ્લા પંચાયત ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સરકારી કર્મીઓની ગેરહાજરીને લઈ તા.03 માર્ચ,2023ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 22 ગ્રામ પંચાયતોમાં તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા 10 તલાટી કમ મંત્રીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. બિનઅધિકૃત્ત રીતે ગેરહાજર રહેનાર તમામ 10 તલાટી કમ મંત્રી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આકસ્મિક તપાસ ટીમ દ્વારા 6 જેટલી ગ્રામ પંચાયતોની ચકાસણી કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીશ્રીઓ તેમની ફરજ પર સમયસર હાજર ન હોવાનું ધ્યાને આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ લોક કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને વહીવટી કામોમાં સરકારી કર્મીઓની બિનઅધિકૃત્ત રીતે ગેરહાજરીના કારણે અડચણો ઉભી ન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવ સતત સક્રિય છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવની સૂચનાથી કરવામાં આવેલી આ આકસ્મિક તપાસ અને કાર્યવાહીથી સરકારી કામગીરીમાં હકારાત્મક પરિણામો જોવા મળશે અને વહીવટી કામોમાં અરજદારોને સરળતા રહે તેવો ઉદ્દેશ્ય છે. અગાઉ 22 ગ્રામ પંચાયતોની ચકાસણી કરવામાં આવી હતી અને કર્મચારીશ્રીઓની નિયમિતતા અને તેમની કામગીરી પ્રત્યેની નિષ્ઠામાં ઉમેરો થાય તો ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને તેમની રોજબરોજની કામોમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય તે મહત્વનું છે. વહીવટી કામગીરીમાં વધુ ચોકસાઈ આવી શકે તે ઉદ્દેશ્ય સાથે જિલ્લા પંચાયત ટીમ દ્વારા આગામી સમયમાં તાલુકા કક્ષાએ પણ ચકાસણી કરવામાં આવશે.