એક સમયે આખી દુનિયાને થથરાવી નાંખનારા આતંકવાદી અને વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અયમાન અલ ઝવાહિરીનો અંતે ઘડોલાડવો થઈ ગયો. વિશ્વમાં એક સમયે અલ કાયદા અને તેના મુખિયા ઓસામા બિન લાદેનના નામથી લોકો થરથરતાં હતાં. લાદેનને આતંકવાદની લડાઈમાં જે કેટલાક બુદ્ધિશાળી માણસોના સાથ મળેલા તેમાં એક ઝવાહિરી પણ હતો.
અમેરિકાએ લાદેનનો ખાતમો કરતાં અલ કાયદા ઢીલું પડી ગયેલું. અલ કાયદાની કમાન સંભાળીને અયમાન અલ ઝવાહિરીએ અલ કાયદાનો ઝંડો ફરકતો રાખવાની કોશિશ કરી પણ અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ડ્રોન હુમલામાં ઝવાહિરીને પતાવી દેતાં અલ-કાયદા પણ લગભગ પતી ગયું છે. ઑગસ્ટ ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર સત્તામાં આવી ત્યારથી ઝવાહિરી કાબુલમાં રહેતો હતો. અમેરિકા તેના પર નજર રાખીને બેઠેલું ને રવિવારે તક મળતાં જ ડ્રોનની મદદથી મિસાઈલ છોડીને ઝવાહિરીને પતાવી દીધો.
ઝવાહિરીને ખતમ કરીને અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલાનો બદલો તો લીધો જ છે પણ પોતાની તાકાત પણ સાબિત કરી છે. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અલ કાયદાના મોહમ્મદ અટ્ટા સહિતના આતંકવાદીઓએ પ્લેન હાઈજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તથા અમેરિકાના લશ્કરી હેડક્વાર્ટર પેન્ટાગોનમાં ઘૂસાડી દીધેલાં.
આ હુમલામાં ભારે તબાહી થયેલી એ તો ઠીક પણ અમેરિકાનું નાક પણ વઢાઈ ગયેલું. આ હુમલાના સૂત્રધાર મનાતા લાદેનને અમેરિકાએ ૨૦૧૧મા પતાવી દીધેલો ને હવે ઝવાહિરીને પણ પતાવીને અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલામાં માર્યા ગયેલા લોકોનું તર્પણ કર્યું છે.
ઝવાહિરીને પતાવી દીધા તેની જાહેરાત અમેરિકના પ્રમુખ જો બાઇડને રાષ્ટ્રને સંબોધન કરીને કરી. બાઈડને વટ સાથે એલાન કર્યું કે, અમે ઝવાહિરીને શોધીને મારી નાખ્યો છે પણ હજુ લડાઈ પતી નથી. અમેરિકા અને તેના લોકો માટે ખતરો ઊભો કરનારી કોઈપણ વ્યક્તિને અમે છોડીશું નહીં અને અમે અફઘાનિસ્તાનમાં આતંકીઓ પર હુમલા ચાલુ રાખીશું.
ખેર, અમેરિકાના આ મિજાજની વાત પછી ક્યારેક કરીશું, આજે ઝવાહિરીની વાત કરી લઈએ. ઝવાહિરીના મોત સાથે આતંકવાદનું એક કલંકિત પ્રકરણ પૂરું થયું છે. અબોટ્ટાબાદમાં અમેરિકી હુમલામાં ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ ઝવાહિરીએ અલ કાયદાની કમાન સંભાળી હતી પણ આતંકવાદ સાથે તેનો નાતો જૂનો હતો. ૨૦૧૧માં અલ કાયદાનો ચીફ બન્યો તેનાં વરસો પહેલાં તેણે આતંકવાદને વિશ્ર્વમાં પ્રભાવી બનાવ્યો હતો. વિશ્ર્વભરમાં અનેક દેશોમાં આતંકવાદી હુમલા કરવામાં તેનો હાથ હતો.
મૂળ ઈજિપ્તનો રહેવાસી ઝવાહિરી આંખોનો ડૉક્ટર હતો અને માત્ર ૧૫ વર્ષની ઉંમરે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થયો હતો. પ્રથમ વખત ધરપકડ કરાઈ ત્યારે તેની ઉંમર ૧૫ વર્ષની જ હતી. ઝવાહિરિના પિતા કૈરો યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ઝવાહિરી પણ કૈરો યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાંથી સ્નાતક થયો પણ તેના બહું પહેલાં એ આતંકવાદી બની ચૂક્યો હતો. ઝવાહિરી બુદ્ધિશાળી હતો પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ તેણે વિશ્વને આતંકવાદદગ્રસ્ત કરવામાં કર્યો. હજારો આતંકવાદીઓની તેણે ભરતી કરી અને હજારો લોકોના જીવ લીધા. તેના નામે ઘણા મોટા મોટા આતંકવાદી હુમલા બોલે છે.
કેન્યા અને તંઝાનિયામાં ૧૯૯૮માં અમેરિકાના દૂતાવાસમાં થયેલા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચનારમાં ઝવાહિરી પણ સામેલ હતો. આ હુમલામાં ૨૨૪ લોકોનાં મોત થયાં હતાં. ૨૦૦૫માં લંડનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પાછળ ઝવાહિરીનો હાથ હતો. તેમા ૫૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ પાંચ દાયકામાં ઝવાહિરીએ ઘણા આતંકવાદી હુમલા કરાવ્યા છે ને વિશ્ર્વમાં અરાજકતા ફેલાવવામાં મોટું યોગદાન આપ્યું છે.
લાદેન સાથેની તેની દોસ્તી વફાદારીની હદે હતી. આ વફાદારીની કિંમત તેણે પોતાના પરિવારની કુરબાની ચઢાવીને આપી છે. કાબુલના હુમલામાં તેની પત્નિ, પુત્રી અને પૌત્ર પણ મરાયાં છે. આ પહેલાં તેની દિકરી મરિયમ પણ અમેરિકાના હુમલામાં મરાયેલી. મરિયમ ઓસામા બિન લાદેનની પૂત્રવધૂ હતી. લાદેનના દિકરા હમજા સાથે તેના નિકાહ થયા હતા. મરિયમ અમેરિકાના હુમલામાં મરાયેલી. હમજાનું પણ ૨૦૧૯માં અમેરિકાના કાઉન્ટર ઑપરેશનમાં મોત થયુ હતું.
ઝવાહિરી વચ્ચે વચ્ચે પાકિસ્તાનના ઈશારે ભારતને ડરાવવા મથતો ને ભારતમાં જિહાદના ડબકા મૂક્યા કરતો હતો, ઝવાહિરીએ ૨૦૧૪માં ભારત સામે જિહાદ છેડવાનું એલાન કરીને ભારતમાં આતંકવાદી હુમલાની ધમકી આપતો વીડિયો જાહેર કર્યો હતો. ઝવાહિરી કદી એવો હુમલો ભારતમાં ના કરાવી શક્યો. એ પછી ૨૦૧૯માં ઝવાહિરીએ એક વીડિયો જાહેર કરીને કાશ્મીરમાં સક્રિય આતંકીઓને હિંદુઓ પરના હુમલા વધારી દેવા કહ્યું હતું. ૨૦૨૦માં ફરી ઝવાહિરીના નામે એક વીડિયો જાહેર કરાયેલો. આ વીડિયોમાં નાઈન ઈલેવનના હુમલાની વર્ષગાંઠ નિમિત્તે અલ કાયદાએ ભારતમાં ફરી હુમલા કરવાની ધમકી આપી હતી.
અલ ઝવાહિરીએ અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી) નામે આતંકવાદી સંગઠન બનાવ્યું હતું. ભારતમાં જન્મેલા આતંકી આસિમ ઉમરને ઝવાહિરીએ અલ કાયદા ઈન આરબ પેનિન્સુલા (એક્યુએપી)નો વડો બનાવ્યો હતો. આ સંગઠનનો ઉદ્દેશ પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને મ્યાંમાર તેમજ બાંગ્લાદેશમાં હુમલા કરવાનો હતો.એક્યુએપીએ ભારતના મુસ્લિમોને ભારત સામે જિહાદ છેડવા હાકલ કરી હતી. અલ કાયદાનો દાવો હતો કે, ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થાય છે અને મુસ્લિમોની હત્યાઓ થાય છે એ જોતાં મુસ્લિમોએ હથિયાર ઉઠાવીને ભારત સામે જિહાદ છેડવાની જરૂર છે. અલ કાયદાએ તેના નિવેદનમાં સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો ઉલ્લેખ પણ કર્યો હતો. આ કાયદા દ્વારા ભારતમાં મુસ્લિમોને પતાવી દેવાશે તેથી મુસ્લિમોએ જિહાદ કરવી જ પડે એવું અલ કાયદાનું કહેવું હતું.
અલ કાયદાએ ભારતના મુસ્લિમ વિદ્વાનોને પણ જિહાદમાં જોડાવા હાકલ કરી હતી. આ વર્ષની શરૂઆતમાં કર્ણાટકમાં હિઝાબનો મુદ્દો ચગ્યો ત્યારે ઝવાહિરીએ ફરી વીડિયો મારફતે દેખા દઈને અલ્લાહુ અકબરના નારા લગાવનારી છોકરીનાં વખાણ કર્યાં હતાં. ઝવાહિરિ આ રીતે અવારનવાર ભારત વિરોધી ઝેર ઓકી ચૂક્યો હતો પણ ભારતમાં તેનો કોઈ પ્રભાવ નહોતો. અલ કાયદાએ વારંવાર ભારત સામે જિહાદ છેડવાની વાતો કરેલી પણ એ વાતો આખી દુનિયામાં ઈસ્લામનું શાસન સ્થાપવાના તેના એજન્ડાના ભાગરૂપે હતી. કાશ્મીર અને સીએએએ વખતે અલ કાયદાએ ભારતની આંતરિક બાબતને જિહાદ સાથે જોડી હતી. અલ કાયદા ત્યારે પાકિસ્તાનની ભાષા બોલતું હતું તેના પરથી સ્પષ્ટ હતું કે, આઈએસઆઈએ અલ કાયદાને પડખામાં લીધું છે. ખેર, આઈએસઆઈના પડખામાં ભરાવા છતાં ઝવાહિરી બચી ના શક્યો ને અમેરિકાએ તેનાં પાપોની સજા આપીને બદલો લઈ જ લીધો.