ચામચીડિયાના માંસના શોખીન ચીનાઓને એ અંદાજ નહીં હોય કે તેમના આ શોખની કિંમત આખા જગતે દાયકાઓ સુધી ચૂકવવી પડશે. કોરોના વાઈરસનો મૂળ સ્ત્રોત કયો એ હવે વણઉકેલ્યું રહસ્ય બની ગયું છે અને તેનો પતો ક્યારેય લાગવાનો નથી. એઇડ્સના એચઆઈવી વાયરસના ઉદગમસ્થાન વિશે પણ આપણે અડધી સદી પછી પણ હજુય અંધારામાં જ છીએ ને ! ચીનાઓની લોખંડી ગુપ્તતા કોરોનાના મૂળ સુધી ન પહોંચવા દે છતાં પણ જગતભરના વિજ્ઞાનીઓનો બહુમત એવો છે કે કોરોના વાયરસ એ ચામાચીડિયાની જ દેન છે અને એની સાથે સીધા સંપર્કમાં માણસ આવ્યો એટલે જ માનવજાત કોરોનાના સપાટામાં ચડી. જુગુપ્સા જનક અને આપણા માટે તો અખાદ્ય હોય તેવા પદાર્થોને પોતાના ભોજનમાં સમાવવા ટેવાયેલા એવા ચાઈનીઝ લોકોએ દુનિયાને વર્ષો સુધી નહીં પણ દાયકાઓ સુધી ચાલુ રહે એવી તકલીફમાં મૂકી દીધા છે.
કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યા પછી તો એવો સૂર પણ ઉઠ્યો છે કે આ આખી સદી મહામારી સદી તરીકે ઓળખાય તો પણ નવાઈ નહીં. એક દેશે દુનિયા આખીને અફર નુકસાન પહોંચાડી દીધું. કોરોના મહામારીના શરૂઆતના તબક્કામાં એવું લાગતું હતું કે આ તો પાંચ-છ મહિનાની ગેઈમ છે. પછી એ ગેઈમ વિકરાળ થવા લાગી. એક-બે વર્ષની બ્રેક લાગી ગઈ દુનિયાને. સેકન્ડ વેવ પછી અને ઘણા બધા લોકોને રસીના બંને ડોઝ મળી ગયા પછી બહુધા લોકો એ ભ્રમમાં છે કે કોરોનાકાળની કુલ મળીને અવધિ પાંચેક વર્ષ કહી શકાય. પણ 2020 ના સમયમાં જ અમુક નિષ્ણાતોએ કહી દીધું હતું કે માનવજાતે હવે કોરોના સાથે રહેતા શીખવું પડશે. કોરોના નેસ્તનાબૂદ થવાનો નથી એવો સૂર એ ભવિષ્યવાણીમાં પડઘાતો હતો. પણ સમાંતર રીતે જે તે દેશના વડાઓ અને તંત્ર તો એ જ ભ્રમમાં હતા કે હવે થોડા મહિના પછી કોરોનાનો ભય જતો રહેશે.
ત્યાં નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો. હવે નજર સામે રહેલું સત્ય સ્પષ્ટ દેખાયું કે આ મહિનાઓની નહીં પણ દાયકાઓની રમત છે અને એ પણ જીવલેણ રમત છે. પરંતુ થવાનું એવું છે કે એક-બે દાયકા પછી પણ કોરોના વાયરસ કે એના મયૂટન્ટ સ્વરૂપોની ભીતિ નીચે જ માણસો જીવતા હશે અને એકવીસમી સદીના અંત સુધી આ મહામારી નામશેષ નહીં થાય. ઓમિક્રોન વેરિયન્ટ એ એક શરૂઆત માત્ર છે. કોરોના વાયરસ પોતાનો વંશવેલો વધારવાની તૈયારી સાથે આવ્યો છે. તે પોતે નબળો પડશે તો બીજા દસ સબળા વંશજોને તાલીમ આપીને જશે. સજીવ માત્રની આ ખાસિયત છે અને એ ખાસિયત તેને કુદરત પાસેથી મળી છે કે પોતાનો આંબો સમૃદ્ધ કરવો. આપણા પરિવારનો આંબો હોય છે.
દરેક પરિવારનો દસેક પેઢી સુધીનો આંબો જોઈએ તો એ ઘટાટોપ લાગે, ઘેઘૂર લાગે, ભવ્ય લાગે. દસેક પેઢી અને એ દરમિયાન સર્જાયેલા ડઝનબંધ પરિવારોમાં બધા જ પ્રકારની વેરાયટી જોવા મળે. દરેક ક્ષેત્રમાં કોઈ દૂરના પરિવારજને પોતાનું નામ રોશન કર્યું હોય અને કોઈ એવું પણ હોય જેણે એના કુટુંબનું નામ ડૂબાડયું હોય. આવી ઘણી લાક્ષણિકતા અને વિશિષ્ટતા દરેક પરિવારની વંશાવળીમાં જોવા મળે. વિવિધતા હોવા છતાં એક પ્રકારનું સામ્ય પેઢી દર પેઢી ચાલ્યું આવતું હોય. લોહીનો સંબંધ એ માત્ર સામાજિક શબ્દપ્રયોગ નથી. એમાં ભારોભાર વિજ્ઞાન રહેલું છે. વધુ ચોકસાઈથી કહીએ તો પરિવારની પેઢીઓમાં એક જાતના ડીએનએ રહેલા છે.
વિષાણુ છે એ મનુષ્ય કરતા ખૂબ શક્તિશાળી છે. તે પોતાના શરીરના બે ફાડિયા કરીને બીજા એક જીવને જન્મ આપી શકે છે. તે દિવસો સુધી કોઈ જ જાતના પોષણ વિના રહી શકે છે. તે મિનિટોની અંદર લાખો સંતતિઓ ઉત્પન્ન કરી શકે છે. તે ગમે તેવા માહોલમાં ઉછરી શકે છે. તેને તાપમાન, ભેજ કે ઊંચાઈ કે દબાણની ખાસ અસર થતી નથી. બે-ત્રણ તત્વો સિવાય દુનિયાભરની લેબોરેટરીના રહેલા રસાયણો કે ઝેરની અસર તેને થતી નથી. વિષાણુ ઉર્ફે વાયરસની જીવન ઘટમાળ બહુ જ આક્રમક હોય છે. તેની એક જ જરૂરિયાત હોય છે અને તે છે યજમાનની આવશ્યકતા. પોતાના કરતા કરોડો ગણા વજનના યજમાન શરીરનો એ રીતે તે વપરાશ કરી જાણે છે કે તે યજમાન દિવસો/મહિનાઓ સુધી એની અસરમાંથી મુક્તિ મેળવી શકે નહીં. જો યજમાનની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તો તેનું મૃત્યુ પણ સંભવિત છે.
આપણે સૌએ છેલ્લા વર્ષમાં તેનો સાક્ષાત્કાર કર્યો છે. શરદીના વાયરસ કે બેક્ટેરિયા પણ આ જ રીતે કામ કરતા હોય છે પણ તેની આક્રમકતા અંકુશિત હોય છે. એક સમયે શીતળા સામે આપણે હથિયાર ટેકવી દેવા પડતા. આજે શીતળા મ્યુઝિયમનો વિષય બની ગયું છે. ટ્યુબરક્યુલોસિસ કે મલેરિયાના વાયરસ સામે આપણું યુદ્ધ હજુ ચાલુ છે. કોરોના આવા અનેક દૂરના સંબંધીઓના આંબામાંથી છૂટું પડેલું બીજ છે. આ બીજ હવે પોતાનું વિશાળ વૃક્ષ બનાવવા માંગે છે. આલ્ફા, બીટા, ડેલ્ટા એ તો નાની નાની ડાળીઓ છે. ઓમિક્રોન વેરિયન્ટ પણ કોરોના વાયરસના વિશાળ વડલાની એક વડવાઈ માત્ર છે. પણ ઘાતક વિષાણુની દરેક વડવાઈ આપણને ભારે પડવાની છે.
દુનિયાની અડધી વસ્તીને વેકસિનનો સિંગલ ડોઝ થોડા મહિનામાં લાગી જશે. ચોથાથી પાંચમા ભાગની વસ્તીને વેકસિનના ડબલ ડોઝ લાગી ગયા છે. જે દેશોમાં એક જ ડોઝની વેકસિન આપવામાં આવી છે તેની ગણના પણ ચોથા/પાંચમા ભાગમાં જ કરવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હવે બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે. જેમ કે કેલિફોર્નિયામાં છેલ્લા બેએક મહિનાથી બુસ્ટર ડોઝ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. તો એ જ પ્રદેશના ન્યુયોર્ક જેવા વિસ્તારોમાં કોરોનાના નવા ફ્રેશ કેસોમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. યુરોપીય દેશોની હાલત સૌથી વધુ ખરાબ હતી. આખું સ્પેન બિછાને પડ્યું હતું. તો યુરોપ માં અત્યારે દરરોજના અમુક હજાર નવા કેસો દર્જ થાય છે. કોરોનાને તેનું એપિસેન્ટર બદલવાની આદત છે. પહેલા ચીન હતું, પછી યુરોપ અને ત્યારબાદ અમેરિકા તેનું કેન્દ્ર બનેલું. ભારત પણ એ જ હરોળમાં આવે. હવે કોરોના વાયરસનું પ્રમુખ કેન્દ્ર આફ્રિકા છે. આફ્રિકામાં ઓમિક્રોન વેરિયન્ટ ડેવલપ થયો છે એવું હાલના તબક્કે માનવામાં આવે છે. ભવિષ્યનું સંશોધન આ માન્યતા બદલી શકે તે સંભવ છે.
દુનિયા અમુક ચોક્કસ ભાગોમાં વિભાજિત થઈ ગઈ છે. એક એવો વર્ગ છે જેણે વેકસિનના બંને ડોઝ લઈ લીધા છે અને તેમને ક્યારેય કોવિડનો રોગ લાગુ પડ્યો નથી. એક એવો વર્ગ છે જેને કોવિડ થયો હતો પણ તેની તીવ્રતા ઓછી હતી અને હવે તેમણે વેકસિનના એક કે બે ડોઝ લીધા છે. એક એવો વર્ગ છે જે કોવિડના રોગમાં આઇસીયુમાંથી માંડ પરત આવેલા છે અને તેમને વેકસિનના એક કે બે ડોઝ મળી ગયા છે. એક મોટો વર્ગ એવો છે જેને વેકસિન આપી શકાય એમ નથી. તે વર્ગમાં બાળકો આવે અને અમુક રોગથી પીડાતા પુખ્તવયના દર્દીઓ આવે. એક વર્ગ એવો છે જેને કોવિડ થયો હતો અથવા તો થયો ન હતો પણ તેમણે વેકસિનનો એક પણ ડોઝ લીધો નથી કે લેવા માંગતા નથી. ઉપરોકત તમામ વર્ગો કરતા સૌથી મોટો વર્ગ હોય તો તે વર્ગ એ છે કે જેને કોવિડ થયો હોય કે ન થયો હોય, જેણે વેકસીનના ડોઝ લીધા હોય કે ન લીધા હોય- પણ તેઓ માસ્ક સરખી રીતે પહેરતા નથી અને સેનીટાઇઝરનો વપરાશ સંપૂર્ણ રીતે છોડી દીધો છે.
આ તમામ વર્ગોનો શંભુમેળો એકસાથે રહે છે. કોરોના વાઈરસ આ પચરંગી વર્ગોની નબળાઈ પારખીને પોતાનું સ્વરૂપ બદલે છે અને નવા મ્યુટન્ટ સ્વરૂપે ત્રાટકે છે. પ્રજાની બેદરકારી અને આટઆટલા જાગૃત કર્યા હોવા છતાં જાગૃતિનો અભાવ કોરોનાને દિગ્વિજયી બનાવે છે. કઈ જ શાશ્વત હોતું નથી. એવું ધર્મ પણ કહે છે અને બિગ બેંગ થિયરીમાં માનતા કે એમાં ન માનતા વિજ્ઞાનીઓ પણ કહે છે. પરંતુ કોરોના અવિનાશી બની જશે એમાં વાંક માનવજાતનો હશે. સજીવ માત્રની આ પ્રકૃતિ છે કે પોતાનો આંબો મોટો કરવો. એટલે આજે ઓમિક્રોન તો આવતીકાલે એક્સવાયઝેડ- નવા નવા સ્વરૂપો આવવાના જ છે. ફાર્મા કંપનીઓએ કોરોના જૂથના વાયરસ સામે રક્ષણ આપે એવી દવાઓ કે રસીની શોધ માટે તાળા વિનાની લેબોરેટરી સતત કાર્યરત રાખવી જ પડશે. પરંતુ વિષાણુ સામેની આ લડાઈ બહુ લાંબી ચાલવાની છે. તેમાં લાઈફસ્ટાઇલ બદલવી અને જાગૃતિ કેળવવી એ આપણું ડહાપણ લેખાશે.