છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૧૧ લાખ કેસ, ૨.૮૩ લાખ સાજા થયા

  • દેશમાં સળંગ ત્રીજા દિવસે કોરોના પોઝિટિવિટી રેટ ઘટીને ૧૦ ટકા નીચે

 

કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ ૯૦% ને પાર, એક્ટિવ કેસ ઘટીને ૨૪,૧૯,૯૦૭ થયા, વધુ ૩૮૪૧ લોકોના મોત, રાહતની વાત એ છે કે ૨૬ રાજ્યમાં નવા કેસ કરતાં વધુ લોકો સાજા થયા(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે રજૂ કરાયેલા બુધવારના આંકડામાં મંગળવાના કેસની સરખામણીમાં સામાન્ય વધારો થયો છે. ગઈકાલે ૨.૮ લાખ કેસ નોંધાયા હતા જ્યારે પાછલા ૨૪ કલાકમાં ૨.૧૧ લાખ નવા કેસ નોંધાયા છે. જોકે, મૃત્યુઆંકમાં ૩૦૦ અંક જેટલો ઘટાડો નોંધાયો છે. એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૨૫ લાખની અંદર આવી ગયો છે.

ભારતમાં કોરોનાના પાછલા ૨૪ કલાકમાં નવા ૨,૧૧,૨૯૮ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૩,૮૪૭ લોકોના મોત થઈ ગયા છે. આ સિવાય વધુ ૨,૮૩,૧૩૫ દર્દીઓ સાજા થાય છે.

વધુ ૨.૧૧ લાખ નવા કેસ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૨,૭૩,૬૯,૦૯૩ થઈ ગઈ છે. કુલ મૃત્યુઆંક ૩,૧૫,૨૩૫ પર પહોંચી ગયો છે.

વધુ ૨,૮૩,૧૩૫ દર્દીઓ ૨૪ કલાકમાં સાજા થતા ભારતમાં કોરોનાને હરાવીને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૨,૪૬,૩૩,૯૫૧ થઈ ગઈ છે. સતત નવા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઊંચી નોંધાતી હોવાથી એક્ટિવ કેસ ઘટીને ૨૪,૧૯,૯૦૭ થઈ ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં ૨૬ મે સુધીમાં કુલ કોરોનાની રસીના ૨૦,૦૬,૬૨,૪૫૬ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૩૪% એવા નાગરિકો છે કે જેમની ઉંમર ૪૫ વર્ષથી ઓછી છે બાકી ૪૨% એવા છે કે જેમની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે. આ નાગરિકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ મળી ગયો છે.

ગઈકાલના આંકડા પ્રમાણે ભારતે એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની તપાસ માટે ૨૨.૧૭ લાખ નવા ટેસ્ટિંગ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આઇસીએમઆર મુજબ પાછલા ૨૪ કલાકમાં ૨૧,૫૭,૮૫૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૩૩,૬૯,૬૯,૩૫૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં ૨૪ કલાકમાં ૩,૮૪૭ દર્દીના મોત થયા હતા જે પૈકી મહારાષ્ટ્રમાં ૯૯૨, કર્ણાટકમાં ૫૩૦, તમિલનાડુમાં ૪૭૫, ઉત્તર પ્રદેશમાં ૧૯૩, પંજાબમાં ૧૮૫, પશ્ર્ચિમ બંગાળમાં ૧૫૩, કેરળમાં ૧૫૧, દિલ્હીમાં ૧૩૦, રાજસ્થાનમાં ૧૦૭ અને હરિયાણામાં ૧૦૬ મૃત્યુનો સમાવેશ થાય છે.