અમરેલી,જિલ્લા કલેકટર શ્રી આયુષ કુમાર ઓકએ લોકડાઉન 4 અંગે માહિતી આપતા અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ કે આપણા જિલ્લામાં ગ્રીન ઝોનને કારણે પાન બીડીને બાદ કરતા તમામ ધંધા ઉદ્યોગોને છુટ હતી જ સરકારે નક્કી કરેલા કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોનને કારણે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનના નિયમો ફરી જશે જ્યારે અમરેલી જિલ્લામાં બજારોને ખોલવાનો સમય સવારે 7 થી સાંજે 4 સુધી હતો તેને બદલે તે એક કલાક ઘટી સવારે 8 થી સાંજે 4 થયો છે જ્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવવા જવા માટે સરકારનો નવો હુકમ ન આવે ત્યાં સુધી પરવાનગી લેવાની રહેશે સાથે સાથે બેડમીન્ટન કોર્ટ, વોલીબોલ, ટેનીસ કોર્ટમાં માસ્ક પહેરી પ્રેક્ષક વગર મંજુરી મેળવી શરતો સાથે રમી શકાશે.
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના કોરોના વોર્ડમાં પોઝીટીવ અને શંકાસ્પદ તમામ દર્દીઓને આયુર્વેદિક ઉકાળો શરૂ કરાવવા સુચના કલેકટરશ્રી દ્વારા આપવામાં આવતા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના આરએમઓ ડો. ભાવેશ મહેતાની ટીમ દ્વારા આજથી ઉકાળાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.
બીજી તરફ જાણવા મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના પ્રથમ કોરોના પોઝીટીવ માજીની તબીયત સુધારા ઉપર આવી હોવાનું અને બગસરાના 11 વર્ષના બાળકની તબીયત પણ સારી છે.