પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોક્યો ઓલિમ્પિકમાં જતાં ભારતીય ખેલાડીઓ સાથે ૧૩ જુલાઈએ વાત કરશે. ૧૭ જુલાઈએ ભારતીય ખેલાડીઓનું પહેલું ગ્રૃપ ટોક્યો માટે રવાના થવાનું છે. કોરોના મહામારીને કારણે આ વાતચીત વર્ચ્યુઅલ હશે. આ વાતચીત દરમિયાન ખેલાડીઓના ઉત્સાહ વધારવાની સાથે પીએમ મોદી તેઓને ગુરુમંત્ર પણ આપી શકે છે.
સરકારના જનભાગીદારી મંચ માયગવ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું, માનનીય પ્રધાનંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૨૩ જુલાઈથી આઠ ઓગસ્ટ સુધી થનાર ટોક્યો ઓલિમ્પિક માટે જતાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમની સાથે વાત કરશે.
ભારતનું પહેલું ગ્રૃપ એર ઈન્ડિયાથી રવાના થશે. ભારતના ૧૨૦થી વધારે ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. અત્યાર સુધી ખેલાડીઓની સંખ્યાની સત્તાવાર જાહેરાત ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કરવામાં આવી નથી. છ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને લંડન ઓલિમ્પિકની કાંસ્ય પદક વિજેતા બોક્સર મેરી કોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે ઓલિમ્પિક રમતોના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ધ્વજવાહક હશે.
આ ખેલોમાં ભારત તરફથી મેડલના સૌથી મોટા દાવેદારોમાં એક પહેલવાન બજરંગ પુનિયા આઠ ઓગસ્ટના રોજ સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહકની ભૂમિકા નિભાવશે. ભારતીય ઓલ્મ્પિક સંઘે આ રમતોની આયોજન સમિતિને પોતાના નિર્ણય જણાવી દીધા છે.
પહેલીવાર આમ થયું છે કે જ્યારે ઓલિમ્પિકમાં ભારતના બે ધ્વજવાહક (એક પુરુષ અને એક મહિલા) હશે. આઈઓએ પ્રમુખ નિંરદર બત્રાએ હાલમાં જ આગામી ટોક્યો રમતોમાં લૈંગિક સમાનતાને સુનિશ્ર્ચિત કરવા માટે આ વાતની જાણકારી આપી હતી. રિયો ડી જાનેરિયોમાં ૨૦૧૬ની રમતોના ઉદઘાટન સમારોહમાં દેશના એકમાત્ર વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા અભિનવ બિન્દ્રા ધ્વજવાહક હતા.