- રૂપાણી સરકારે પ્રથમ હેરિટેજ ટૂરિઝમ પોલીસી જાહેર કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી પોલિસીથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે. નવી હેરિટેજ ટુરીઝમ પોલિસીને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ સાથે જ રાણી કી વાવ, ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદૃાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસીક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે.
આ પોલિસીથી રાજ્યના પ્રવાસન અને ટુરિઝમ સેક્ટરને મંજૂરી મળશે. સાથે જ વિદેશી હુંડિયામણ પણ મેળવીને વધુ આવક મેળવી શકાશે. આ પોલિસી મુજબ, ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હવે હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેક્ધ્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકાશે. જેથી ૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેક્ધ્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિૃશા ખોલી છે.
સ્થાનિક સ્તરે રોજગાર સર્જન સાથે આ પોલિસી નવી તકો લઈને આવશે. સાથે જ વિદેશી પ્રવાસીઓને ગુજરાતના ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરિઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ અપનાવવાનો પ્રયાસો પોલિસી અંતર્ગત કરાયો છે. હેરિટેજ ટુરિઝમ પોલિસી અંતર્ગત નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન એક્સપાન્શન માટે રૂપિયા ૫ થી ૧૦ કરોડ સુધીની સહાય પણ મળશે.