ભૂજ હોસ્પિટલમાંથી ભાગેલો કોરોનાગ્રસ્ત દર્દી અંજારથી ઝડપાયો

કચ્છના ભૂજ ખાતેની અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી નાસી છુટતા ભારે ચકચાર મચી હતી. જોકે તંત્રએ મહેનત બાદ અંજારના આ દર્દીને રેલવે સ્ટેશન પરથી શોધી કાઢીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. આ વચ્ચે આજે દર્દી ભૂજ હોસ્પિટલથી એસટી બસમાં અંજાર પહોંચ્યો હોવાનું સામે આવતા તંત્રએ આ બસમાં મુસાફરી કરનારા લોકોને હોમ આઈસોલેટ થવાનો અનુરોધ કર્યો છે. મળતી વિગતો મુજબ અંજારના મફતનગરમાં રહેતો ૪૮ વર્ષીય સીતારામ કુંવટ નામનો શખ્સ ગઈકાલે ભૂજ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. હોસ્પિટલમાં આ શખ્સના કોરોના સેમ્પલ લેવાયા હતા. આ વચ્ચે હોસ્પિટલમાંથી એકાએક તે ફરાર થઇ ગયો હતો.

રિપોર્ટ ગત મોડી સાંજે જાહેર થયા બાદ આ દર્દી ફરાર થઈ ગયાની બાબત ધ્યાને આવતા ભૂજ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગે તત્કાળ અંજારના તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરી પોઝિટિવ આવેલા આ દર્દીના મફતનગર સ્થિત નિવાસસ્થાને જઇ તપાસ કરવા જણાવાયુ હતું. અંજારની ટીમ આ દર્દીના નિવાસસ્થાને પહોંચી હતી પણ દર્દી મળી આવ્યો નહોતો અનેતેનો ફોન પણ બંધ થઈ ગયો હતો.

આ દરમિયાન ભૂજ હોસ્પિટલમાં મુખ્ય માર્ગની સીસીટીવી કેમેરામાં આ દર્દી ભૂજથી એસટી બસમાં ચડયો હોવાની વિગતો સપાટી પર આવી હતી જેને પગલે અંજારમાં વ્યાપક શોધખોળ હાથ ધરાતા આજે સવારે આ યુવાને અંજારના રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે. હાલે આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દર્દી નાસી જવાની આ ઘટનાપગલે જવાબદાર તમામ અધિકારીઓએ પત્રકારો અને માધ્યમોથી દુરી બનાવી લઈને સતત ફોનનો જવાબ પણ આપ્યો નહોતો