મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં માતા પાસે ઊંઘી રહેલાં બે માસૂમ ભાઈ-બહેનનું સાપ કરડવાને લીધે મોત નીપજ્યું છે. રાત્રિના સમયે ઊંઘતી વખતે સાપે માસૂમ ભાઈ-બહેનને ડંખ મારતાં બન્ને રડવા લાગ્યાં હતાં. માતાને લાગ્યું કે બન્ને બાળકો ડરી ગયાં છે, માટે રડી રહૃાાં છે, જેથી માતાએ બન્નેને વહાલથી પાસે સુવાડ્યાં, પણ થોડીવાર બાદ તેમનાં મોંમાંથી ફીણ નીકળવા લાગ્યાં તો તેમની તબિયતને લઈ ચિંતા સર્જાવા લાગી. પરિવાર તથા ગામના લોકો બાળકોને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે માર્ગમાં જ પહેલા ભાઈએ અંતિમ શ્ર્વાસ લીધા, થોડા સમય બાદ બહેનનું પણ મોત નીપજ્યું. હવે માતા પર આભ તૂટી પડ્યું છે. તે એમ કહીને બેભાન થઈ જાય છે કે મને ખબર ન હતી કે હું મારાં બાળકોને હંમેશાં માટે સુવાડી રહી હતી. સોંદર ગામમાં રહેતા કમદ સિંહ બઘેલ, પત્ની લલિતા, ૭ વર્ષની દીકરી પિંકી અને ૪ વર્ષના દીકરા સંજય સાથે પરિવાર રાત્રે ઘરની છત પર ઊંઘી રહૃાો હતો. રાત્રે લગભગ બે વાગે પિંકી અને સંજયને ઝેરીલા સાપે ડંખ માર્યો. સાપ કરડતાં જ પિંકી બૂમ પાડીને જાગી ગઈ અને પીડા અંગે માતાને કહેવા લાગી. તે સમયે દીકરો પણ ઊંઘમાંથી જાગી ગયો અને રડવા લાગ્યો. માતા લલિતાને લાગ્યું કે બાળકો કદાચ ઊંઘમાંથી જાગી ગયાં છે, માટે રડી રહૃાાં છે. બાળકો ફરી સૂઈ જાય એ માટે પ્રયત્ન કરતી રહી. બાળકોના કાકા ભગવાન સિંહના જણાવ્યા પ્રમાણે, ડોક્ટરોએ કહૃાું હતું કે બાળકોને બચાવવા હોય તો તાત્કાલિક શિવપુરી લઈ જાઓ. તેઓ બાળકોને લઈ તાત્કાલિક શિવપુરી પહોંચી ગયા. શિવપુરીમાં ડોક્ટરોએ બાળકોની તપાસ કરી. ત્યાં સુધીમાં બાળકો અંતિમ શ્ર્વાસ લઈ ચૂક્યાં હતાં. પિંકીના પગ પર સાપ કરડ્યાનાં નિશાન જોવા મળ્યાં હતાં.