અમરેલી, અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મહાનગરોમાંથી આવતા લોકોને હોમકોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે તેમજ આ લોકો હોમકોરેન્ટાઇનનું સંપૂર્ણપણે પાલન કરે તે માટે તેમના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
જે અન્વયે કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અમરેલી ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે બે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ કન્ટ્રોલ રૂમનું કાર્ય લોકોને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવાની પરવાનગી તેમજ માર્ગદર્શન માટે તેમજ તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો ધરાવતા લોકોને માર્ગદર્શક સૂચનો આપવાનું છે. જ્યારે અન્ય કંટ્રોલ રૂમ દ્વારા હોમ કોરેન્ટાઈન કરેલા વ્યક્તિઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. અહીંથી હોમકોરેન્ટાઇન વ્યક્તિઓને ફોન તેમજ વીડિયો કોલ કરી તેઓ ક્યાં છે, સમયાંતરે ડોકટર્સ દ્વારા તેમનાં આરોગ્યની ચકાસણી થાય છે કે કેમ, હોમકોરેન્ટાઇનના નિયમોનું પાલન થાય છે કે કેમ તેમજ તેઓ જીવનઆવશ્યક ચીજવસ્તુઓ કંઈ રીતે મેળવે છે તેની માહિતી મેળવવામાં આવે છે. અને જો તેઓ કોરેન્ટાઇનના નિયમોનો ભંગ કરતાં જણાય તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવે છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જોશીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા નક્કર પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. જેનાં અનુસંધાને દરેક ગામમાં કોરોના યોદ્ધાઓ જેમકે, સરપંચશ્રી, તલાટીશ્રી, શિક્ષકો, આંગણવાડી વર્કર, આશા બહેનો તેમજ આરોગ્યના લોકોની ટીમ બનાવવામાં આવી છે. જેનાં દ્વારા હોમકોરેન્ટાઇન વ્યક્તિઓ નિયમોનું ઉલ્લંઘન ન કરે તેની કાળજી રાખવામાં આવે છે. આ લોકોને પણ કંટ્રોલ રૂમ દ્વારા ફોન કરી પ્રશ્નો પૂછવામાં આવે છે. લોકો હોમકોરેન્ટાઇનનો ભંગ કરે તો આ સમિતિ દ્વારા કંટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવે છે. જેથી તંત્ર દ્વારા આવા લોકો વિરુદ્ધ યોગ્ય પગલાં લઈ શકાય. આ કંટ્રોલ રૂમમાં મામલતદાર સુશ્રી આરઝૂ ગજ્જર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ અધિકારીઓ કર્મચારીઓ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી લઈને આજ સુધી સતત ખડેપગે કોઈ દિવસોની રજા લીધા સિવાય સેવા આપી રહ્યા છે.