ભારતમાં સળંગ બે દાયકા સુધી દેશ માટે ક્રિકેટ રમનારો કોઈ ક્રિકેટર નિવૃત્ત થાય તો એ સમાચાર હેડલાઈન બને પણ મિતાલી રાજની નિવૃત્તિની બહુ નોંધ ન લેવાઈ. ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર મિતાલી રાજે બુધવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું એલાન કર્યું. મિતાલીએ સોશિયલ મીડિયામાં ઈમોશનલ પોસ્ટ મૂકીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી તેની નોંધ લેવાઈ, પણ મિતાલી રાજના યોગદાન વિશે જોઈએ એવી ચર્ચા ન થઈ. આ દેશમાં મહિલાઓ પુરૂષ સમોવડી થઈ ગઈ છે એવું કહેવાય છે, પણ મિતાલીની નિવૃત્તિને મળેલા ટીવી કવરેજે સાબિત કર્યું કે, આ મોટો ભ્રમ છે. મિતાલીની નિવૃત્તિ સાથે ક્રિકેટનો એક યુગ પૂરો થયો છે પણ એ વાત જ કોઈને યાદ ના આવી.
મિતાલીએ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. મહિલા ક્રિકેટમાં ટેસ્ટ મેચ બહુ નથી રમાતી, પણ વન ડે મેચો સારા પ્રમાણમાં રમાય છે. ૨૩ વર્ષની કરિયર દરમિયાન મિતાલી માત્ર ૧૨ ટેસ્ટ મેચ રમી છે ને તેમાં ૪૩.૬૮ રનની સરેરાશથી તેણે ૬૯૯ રન બનાવ્યા છે જેમાં હાઈએસ્ટ સ્કોર ૨૧૪ રન છે. ઈન્ટરનેશનલ ટી-૨૦માં મિતાલીએ ૮૯ મેચમાં ૨,૩૬૪ રન બનાવ્યા છે. ટી-૨૦ ઈન્ટરનેશનલમાં મિતાલીએ ૧૭ ફિફ્ટી ફટકારી છે. મતલબ કે, દર પાંચ મેચે એક ફિફ્ટી છે ને આ રેકોર્ડ ખરેખર સારો કહેવાય.
વન ડે મેચોમાં કેપ્ટન તરીકે સૌથી વધારે જીત નોંધાવવાનો રેકોર્ડ પણ મિતાલીના નામે છે. તેણે ૧૫૫ વનડે મેચમાં કેપ્ટનશિપ કરી. આ પૈકી ભારતને ૮૯માં જીત અને ૬૩માં હાર મળી. મિતાલી રાજ વિશ્ર્વની એકમાત્ર એવી કેપ્ટન છે જેણે ૧૫૦થી વધારે વન ડે મેચમાં કેપ્ટન્સી કરી છે. મિતાલી રાજ વન ડે મેચોમાં વિશ્ર્વમાં સૌથી વધુ રન કરનારી મહિલા ખેલાડી છે. મિતાલીએ ૨૩૨ મેચોમાં ૫૦.૬૮ની એવરેજથી ૭૮૦૫ રન કર્યા છે. વન ડે મેચોમાં મિતાલીના નામે સાત સદી બોલે છે. વિશ્ર્વમાં સાત હજાર રન પાર કરનારી મિતાલી પહેલી ક્રિકેટર છે. મિતાલી જેવી એવરેજ મોટા ભાગના કહેવાતા મહાન ક્રિકેટરોની પણ નથી.
મિતાલી મેચરમી તેમાંથી ૨૦૦૫ અને ૨૦૧૭માં ભારતની ટીમ ફાઈનલમાં પહોંચેલી પણ જીત ના મેળવી શકી. ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં આપણે ૯૮ રને ખરાબ રીતે હારેલાં, પણ ૨૦૧૭માં તો ઈંગ્લેન્ડ સામેની ફાઈનલમાં જીતના આરે આવીને માત્ર ૯ રને હારી ગયેલાં. મિતાલી રાજ બંને વાર કેપ્ટન હતી, પણ કમનસીબે ભારતેન વર્લ્ડ કપ ના અપાવી શકી.
પૂનમે રિવ્યૂ માગ્યો પણ અમ્પાયરે ઘસીને ના પાડી દીધી. ભારતે બહુ ઓછા રન કરવાના હતા એ જોતાં પૂનમ ઊભી રહી હોત તો ભારત જીતી ગયું હોત. આ ભૂલના કારણે આપણે વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાથી વંચિત રહી ગયા એ મિતાલીની કારકિર્દીમાં સૌથી મોટી નિરાશા હતી. બાકી એ પણ સચિનની જેમ વર્લ્ડ કપ વિજયનું સપનું સાકાર કરીને નિવૃત્ત થઈ શકી હોત. મિતાલીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ભારત દેશનું આટલાં બધા વર્ષો સુધી નેતૃત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. વાસ્તવમાં મિતાલી માટે ભારતને ગર્વ છે. આજે ભારતમાં છોકરીઓ ક્રિકેટને કારકિર્દી તરીકે અપનાવતી થઈ છે તેનું શ્રેય મિતાલી સહિતની ક્રિકેટર્સને જાય છે.