મોરબીના મહાવીર ચશ્માં ઘરના સંચાલક સંજયભાઈ ભોગીલાલભાઈ વોરાનું ૫ શક્તિ પ્લોટમાં ઘર આવેલ છે અને તેઓ પરિવાર સાથે આઠમના દિવસે બપોર બાદ બે દિવસ બહારગામ ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ કબાટમાંથી અંદૃાજે ૧.૭૫ લાખ રોકડા, ૫૦,૦૦૦ની સોનાની બુટી ઉપરાંત ૨૫ જોડી લેડીઝ કપડા અને ૧ મોબાઈલ સહિતની મત્તા ચોરી કરી ગયા છે. જન્માષ્ટમીના દિવસે પરિવાર બહારગામ ગયો હતો અને રાત્રે ઘરે પરત ફરતા ચોરીના બનાવની જાણ થઇ હતી. જેથી પોલીસને તુરંત જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ પણ આદરી હતી. જોકે સોમવારે સાંજ સુધી સત્તાવાર ફરીયાદ નોંધાઈ ન હતી તેવી માહિતી પણ ભોગ બનનાર વેપારી પાસેથી પ્રાપ્ત થઇ છે.મોરબી પંથકમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળે છે. જેમાં મોરબીમાં રહેતા ચશ્માના વેપારીનું ઘર બે દિવસ તહેવારો દરમિયાન બંધ હતું તે સમયે તસ્કરોએ ઘરને નિશાન બનાવી ૨.૨૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી છે. જે બનાવ મામલે હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.