અમરેલી,
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્યમાં આ વિસ્તારોમાં “બીપોરજોય’ વાવાઝોડાની સંભવિત અસરો સામે ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી બધા જ જિલ્લાઓએ કરેલા આયોજનની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં મેળવી હતી.ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીએ બેઠકમાં જણાવ્યું કે, પ્રવર્તમાન સ્થિતિએ આ “બીપોરજોય’ વાવાઝોડું પોરબંદરથી દૂર સ્થિત થયેલું છે, પરંતુ તેની ગુજરાત પર ટકરાવાની સંભવિતતા નહીવત છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આમ છતાં દરિયાકાંઠાના 13 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, સુરત, વલસાડ, નવસારી વગેરેમાં કલેક્ટરશ્રીઓને પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવી, તેમ જ ફીશિંગ એક્ટિવિટી સંપૂર્ણ બંધ રહે તે માટેની કાળજી લેવી અને ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે માર્ગો પર વીજથાંભલાઓ કે ઝાડ પડી જવા અને બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાલિક દૂરસ્તીકાર્ય માટે ટીમો તૈયાર કરવાની સમીક્ષા પણ બેઠકમાં કરવામાં આવી હતી.મુખ્ય સચિવશ્રી રાજકુમારે જિલ્લા તંત્રવાહકોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કેન્દ્રિય હવામાન વિભાગના વખતોવખતના બુલેટિન અને સૂચનાઓનું સ્થાનિક સ્થિતિ મુજબ પાલન થાય તે જરૂરી છે. તેમણે રાજ્ય સરકારની મદદની જરૂર જણાય તો સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરનો ત્વરાએ સંપર્ક કરવા પણ સૂચનાઓ આપી હતી.મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાશનાથન સહિત વરિષ્ઠ સચિવશ્રીઓ અને એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.