અમદાવાદ,
13મી સપ્ટેમ્બર 2021ના રોજ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પદભાર સંભાળ્યો તે ક્ષણે ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોને અહેસાસ થયો કે, એક સરળ, સહજ અને સાલસ સ્વભાવના મૃદુ પણ મક્કમ જનનાયક ગુજરાતને મળ્યા છે. પારદર્શિતા અને સંવેદનશીલતા સાથે વિના વિલંબે મક્કમતાથી લોકોને સ્પર્શતા નિર્ણયો લેવાની એમની કુનેહનો આજે સમગ્ર ગુજરાતને પરિચય થઈ રહ્યો છે. માનવ માત્ર પ્રત્યેની તેમની સંવેદનાને સૌ કોઇ બિરદાવી રહ્યું છે. લોકોની વચ્ચે જઈને, લોકોના બનીને તેઓ લોકોના પ્રશ્નો મૃદુતાથી સાંભળે છે અને તેના ત્વરિત નિવારણ માટે મક્કમ નિર્ણયો લે છે. મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના 200 દિવસમાં તેમણે સમાજના તમામ વર્ગના અને વય જુથના લોકો અને તમામ વ્યવસાયના લોકોના ઉત્કર્ષ માટે અનેક નવતર પહેલ કરી છે. રાજ્યનાં પ્રત્યેક ખૂણામાં વસતાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો, વંચિતો, વનબંધુઓ, ગ્રામજનોના સમૂચિત વિકાસ માટે જનકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવીને સર્વસમાવેશક ઉત્કર્ષ કર્યો છે. શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો સાલસ સ્વભાવ અને કામ કરવાની ધગશને સૌ કોઇ આવકારી રહ્યાં છે. નારી શક્તિનું સન્માન, મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતી રાજ્ય સરકારે આ વર્ષનાં બજેટમાં મહિલા વિકાસની યોજનાઓ માટે 42 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ નિવાસી ધોરણે આપવા માટે 50 જ્ઞાન શક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ સામાજિક ભાગીદારીના ધોરણે શરુ કરી એક લાખ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. બાળકોમાં સંસ્કાર સિચનને પ્રાધાન્ય આપવા માટે શિક્ષણમાં ભાગવત ગીતાનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના દિશાદર્શનના રોડમેપ અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ થયું. જે અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આ નીતિ અન્વયે આર્થિક સહાય આપે છે. ધોરણ 10 પછીના ડિપ્લોમા તેમજ ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવતા યુવાનોને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
200 દિવસમાં નારીશક્તિને દીર્ઘદ્રષ્ટિપુર્ણ રચનાત્મક એંગલ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આપ્યો છે. મહિલા અને બાળ વિકાસ રાજય મંત્રીશ્રી મનીષાબેન વકીલે અંદાજપત્રિય માંગણીઓ ઉપર ચર્ચા કરતા વિધાન સભા બજેટ સત્રમાં વિગતો આપી હતી કે, રાજ્ય સરકારે સૌ પ્રથમવાર જેન્ડર બજેટ બનાવીને 891 જેટલી મહિલાલક્ષી યોજનાઓને પરિણામલક્ષી રીતે ગુજરાતમાં કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના થકી વિધવા બહેનો પુન: લગ્ન કરી સમાજમાં પુન:સ્થાપિત થાય તેમજ માનભેર નવજીવન થકી ગંગાસ્વરૂપા બહેનોમાં નવી ઉર્જાનો સંચાર થશે. સમાજના દ્રષ્ટિકોણમાં સુધારાની સાથે સાથે આદર અને સન્માનપૂર્વક તેમનો સ્વીકાર થશે. પુન:લગ્ન માટે 50 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. વર્ષ 2022-23 માટે રૂ. 250 લાખની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાત સરકારે કોરોનાને નાથવા આરંભેલા જનઆરોગ્યના મહાયજ્ઞને સફળ બનાવ્યો. રાજ્ય સરકારે આદરેલા રસીકરણથી માંડીને ઓક્સિજન ટેંક, આરોગ્ય રથ સહિતના પગલાંની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઇ. એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે 200 દિવસના ગાળામાં ઔદ્યોગિક, જળ વ્યવસ્થાપન, કૃષિ, આરોગ્ય, શિક્ષણ સહિત સોશ્યલ સેક્ટર્સનાં જનહિતલક્ષી લીધેલાં અનેક પગલાં સાથે નિર્ણાયકતા, કુનેહપૂર્વકની વિકાસનીતિથી સફળતા તો મેળવી છે. આની સાથે સાથે જનમાનસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મૃદુભાષી, સાલસ, સૌમ્ય અને સરળ છતાં મક્કમ જનનાયક તરીકે પ્રસ્થાપિત કરી દીધાં છે. રાજ્યના ખેડૂતો અને પશુપાલકોની સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર પ્રતિબધ્ધતાની ધરતીપૂત્રોને પ્રતિતી છે. 23 તાલુકાઓના 682 ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે તેમણે કુલ રૂ. 547 કરોડનુ માતબર સહાય પેકેજ જાહેર કર્યં હતુ. બીજા તબક્કામાં રાજ્યના અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, પંચમહાલ અને વડોદરા એમ મળી કુલ નવ જિલ્લાના 37 તાલુકાઓના 1530 ગામોના ખેડૂતોને માટે કુલ રૂ. 531 કરોડનુ આર્થિક સહાય પેકેજ જાહેર કરવામા આવ્યુ.રાજય સરકારના” હર હાથ કો કામ, હર ખેતકો પાની” સ્વપ્નને સાકાર કરવા માટે રાજ્યમાં કુલ 46 રોજગાર કચેરીઓ દ્વારા રોજગારલક્ષી વિવિધ સેવાઓ આપવામાં આવે છે. મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીકસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન (MOSPI), ભારત સરકાર દ્વારા જુલાઈ-2021માં પ્રકાશિત થયેલ અહેવાલ અનુસાર તમામ વયજૂથમાં ગુજરાતનો બેરોજગારીનો દર ફક્ત 2.0 છે. જે દેશના તમામ રાજ્યોમાં સૌથી નીચો છે. આજે ગુજરાતનો યુવાન નવા નવા એપ્સ બનાવી રહ્યો છે જેથી પોતાની જિંદગી પણ સરળ થઇ જાય અને રાજ્ય તેમજ દેશવાસીઓની પણ મદદ થઇ શકે.