હોમ આઇસોલેશનની ગાઇડલાઇનનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે

અમરેલી,હાલ સમગ્ર અમરેલી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ કરતા કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ આવા દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તંત્રના ધ્યાને આવ્યું છે કે જિલ્લામાં ઘણી જગ્યાએ કોરોનાના દર્દીઓ અને તેઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સામાન્ય રીતે લોકોની વચ્ચે જઈ રોજિંદા વ્યવહારો કરે છે જે અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે અતિ જોખમી સાબિત થાય છે. હોમ આઇસોલેશનની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન ન થવાના કારણે સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. તંત્ર દ્વારા નિયમોનો ભંગ કરી અન્ય લોકો સુધી સંક્રમણ ફેલાવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે એપિડેમિક એક્ટ 2020 અને ડિઝાસ્ટર એક્ટ 2005ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલા આઇસોલેશન ફેસિલિટી એટલે કે આઇસોલેશન સેન્ટરો ખાતે ખસેડવામાં આવશે. જો જરૂર જણાશે તો નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે.