અમરેલી,ગઇ કાલે 3 હજાર લોકોને દંડ કરાયા બાદ અમરેલી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા અવિરત પગલાઓ શરૂ કરાયા છે. જેમાં કલેકટરશ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાય તથા ડીડીઓ શ્રી તેજસ પરમારની સુચના અનુસાર માસ્ક વગર નીકળી કોરોનાને ફેલાવવામાં યોગદાન આપી રહેલા લોકો સામે કડક પગલાના ભાગરૂપે ગુરૂવારે 2840 લોકોને દંડ કરાયો હતો.છેલ્લા 3 દિવસથી કોરોનાનાં કેસ આવવાનો પ્રારંભ થયો છે તેવી જ રીતે અટકાવવા માટે સૌથી પહેલુ અસરકારક હથિયાર માસ્ક છે તે લોકો પહેરે અને રોગથી બચે તે માટે સરકાર દ્વારા માસ્કને ફરજિયાત બનાવાયો હોય અને તેનું પાલન કરાવવાની સતા પોલીસ તંત્રને અપાતા આજે ગુરૂવારે અમરેલી શહેરમાં 205, તાલુકામાં 83, લાઠીમાં 74, લીલીયામાં 95, દામનગરમાં 70, બાબરામાં 154, બગસરામાં 79, વડીયામાં 100, સાવકુંડલા ટાઉનમાં 85, સાવરકુંડલા રૂરલમાં 90, વંડામાં 41, ચલાલામાં 84, ધારીમાં 80, ખાંભામાં 62, રાજુલામાં 130, મરીન પીપાવાવમાં 101, નાગેશ્રીમાં 100, જાફરાબાદમાં 43, જાફરાબાદ મરીનમાં 62, ડુંગરમાં 36, ટ્રાફીક શાખામાં 154 લોકોને દંડ કરી કુલ 3 લાખ 58 હજાર 600 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતો દ્વારા એક જ દિવસમાં માસ્ક ન પહેરનાર 912 લોકોને દંડ કરાયો હતો અને લાઠીમાં જાહેરમાં થુંકવા બદલ એક વ્યક્તિને 100 રૂપીયાનો દંડ કરાયો હતો.