આમ આદમી પાર્ટીએ પંજાબમાં સત્તા તો મેળવી લીધી છે પરંતુ એમનો પંથ સદાય કંટકગ્રસ્ત રહેવાનો છે. પંજાબ હજુ પણ દેશની મુખ્ય ધારાથી સહેજ હાંસિયામાં છે. નશીલા દ્રવ્યોની લપેટમાં જિંદગીમાં બરબાદ કરી રહેલા યુવાધનના પ્રદેશ તરીકે પંજાબ ઓળખાવા લાગ્યું છે અને હવે ત્યાં નવેસરથી આતંકવાદની ચિનગારી ચાંપવાની શરૂઆત થઈ છે. આજથી બે વરસ પહેલાં અમૃતસરના અદલીવાલ ગામના નિરંકારી ભવનમાં સત્સંગમાં તલ્લીન લોકો પર બોમ્બ ફેંકવાની ઘટનાએ સમગ્ર પંજાબને ફરીવાર ધ્રુજાવી દીધું છે. પાકિસ્તાની આતંકવાદનો સૌથી ખતરનાક સિદ્ધાન્ત સ્થાનિક લોકોને હાથા બનાવીને ભારત વિરોધી પ્રવૃત્તિ કરવાનો છે, જેને કારણે આતંકવાદીઓની ગેરહાજરીમાં પણ વિવિધ સ્થાનિક રાષ્ટ્રદ્રોહીઓ દ્વારા જે તે પ્રદેશ કોઈ ને કોઈ આંદોલનરૂપે સળગતો રહે છે.
બ્રિટનનો કાયમનો નિયમ ભારત વિરોધીઓને પનાહ આપવાનો છે. બ્રિટન ભારતનું એક ખતરનાક હિતશત્રુ રાષ્ટ્ર છે. બ્રિટનમાં પાકિસ્તાને ભારત વિરોધી પંજાબીઓનું એક જૂથ રચી લીધું છે જે ત્યાં બેઠા બેઠા ખાલિસ્તાની વિચારધારાને સતત હવા આપ્યા કરે છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ઉપદ્રવ સમયાંતરે પંજાબમાં દેખાયા કરે છે. પંજાબ પણ પાકની સીમાને સ્પર્શતું સરહદી રાજ્ય છે એનો ગેરલાભ લઈને પાકિસ્તાની જાસૂસો પંજાબમાં પોતાની જાળ ફેલાવી રહ્યા હોવાની વાત તો અગાઉથી જ જાણીતી છે. પંજાબમાં સદાય રાખ નીચે અંગારાઓ ધરબાયેલા રહે છે. બહારથી ઠરી ગયેલી અને થાળે પડેલી લાગતી પરિસ્થિતિની ભીતર ઓછીવત્તી આતંકવાદી હલચલ ચાલતી રહે છે. પંજાબના નાગરિકો રાષ્ટ્રપ્રેમથી છલકાતા અને સૈન્ય સેવાઓ દ્વારા આત્મગૌરવપૂર્વક ભારત માટે બલિદાન આપનારા લોકોનો એટલે કે વીરપુરુષોનો સમુદાય છે.
આ પંજાબના નવી પેઢીના – નવયુવાન નાગરિકોને આડે રસ્તે ભટકાવીને ડ્રગ્સને રવાડે ચડાવીને પાકિસ્તાને આ મહાન ઇતિહાસ ધરાવતા પ્રદેશને તહસનહસ કરવાનું કાવતરું ઘડેલું છે. હવે પાકિસ્તાન એ કાવતરાનો આગળનો અધ્યાય આલેખવા ચાહે છે જેમાં પંજાબના નિર્દોષ નાગરિકો પર હુમલા થવા લાગ્યા છે. આજથી ચાર દાયકા પહેલા પંજાબમાં આવા જ પ્રચ્છન્ન અને ઘાતક હુમલાઓ દ્વારા આતંકવાદે પ્રવેશ કર્યો હતો. એ સમયે પણ ઉપાસકો અને ભક્તો જ આતંકવાદીઓના નિશાન પર હતા. એટલે અદલીવાલ ગામના સત્સંગીઓ પર થયેલો હૂમલો ખરેખર તો પાકિસ્તાનનો એ ઇરાદો છતો કરે છે જેમાં તે ચાલીસ વરસ પહેલાના કરૂણાન્ત ઇતિહાસને સજીવન કરવા ચાહે છે.
ઇમરાન ખાનના જવાથી કે શાહનવાઝ જેવા નવા આલ્યામાલ્યાના આવવાથી કોઈ ફેર પડવાનો નથી અને ભારત-પાક સંબંધો એવા ને એવા વણસેલા રહેવાના છે એવી બહુ અગાઉ વૉશિંગ્ટન પોસ્ટે કરેલી આગાહી સાચી પડવાની છે. કારણ કે પાકિસ્તાનમાં લોકપ્રતિનિધિઓની સરકારો બદલાવાથી સૈન્યની દુર્વૃત્તિઓ અને દુષ્ટતામાં કોઈ ફેર પડતો નથી અને એ જ એનો ઇતિહાસ છે. થોડા દિવસો પહેલા જ ભારતીય સેનાધ્યક્ષે ભારત સરકારનું એડવાન્સમાં ધ્યાન દોર્યું હતું કે પંજાબમાં નવેસરથી આતંકવાદનું ઉત્થાન થવાની પરિસ્થિતિ અને કોશિશ દેખાય છે. જો તેમણે વ્યક્ત કરેલી દહેશતને પંજાબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધી હોત તો અમૃતસર પંથકમાંથી આતંકવાદીઓને આગોતરી સાવચેતીથી ઝડપી શકાયા હોત.
કાશ્મીરમાં આતંકવાદીઓની ઝડપી સાફસૂફી થઈ અને ભારતીય સૈન્ય દ્વારા આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો હતો એ સમયે પાકિસ્તાને ફરીથી પંજાબની સરહદેથી પ્રવેશીને આતંકવાદીઓને વિવિધ સ્થળે મોકલવાની યોજના બનાવી હતી. જો કે અત્યારે પાક અને કાશ્મીરની સરહદે જે સ્થિતિ છે તે ભારત સરકાર માટે સંકોચજનક છે. સરકારે નવેસરથી આતંકવાદીઓ સાથે લડવાની વધુ આક્રમક નીતિ ઘડવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આતંકીઓની જે તાલીમ છાવણીઓ છે તે હાઇટેક સ્વરૂપની છે અને ત્યાં માઇનસ ડિગ્રી ઉષ્ણતામાનમાં આતંકવાદની તાલીમ પણ આપવામાં આવે છે. છેલ્લા ઘણા વરસોથી દર શિયાળામાં પાકિસ્તાન સરહદેથી આતંકવાદીઓની ઘુસણખોરી થતી રહે છે.
ક્યારેક ભારતીય ઇન્ટેલિજન્સ અધિકારીઓ સરકારને માહિતી આપે છે કે આતંકવાદીઓની ચાર – પાંચ ટુકડીઓ પાક સરહદેથી ભારતમાં પ્રવેશવા માટે મોકાની રાહ જોઈને બેઠી છે, જેમાંથી એક ટુકડી પંજાબ સરહદેથી પ્રવેશવાની શક્યતા છે. પરંતુ હવે આ વાત કાયમી છે અને એમાં રહેલી ઈન્ટેલિજન્સી આખો દેશ અગાઉથી જ જાણે છે. પંજાબ હવે નવેસરના આતંકવાદને કિનારે ઉભેલું રાજ્ય છે. આ જંગલની આગ જેવું છે કે જેમાં એને પ્રારંભના તબક્કામાં જ રોકી શકાય, તો જ એ અટકે, એકવાર ઝાળ લાગે અને ફેલાઈ જાય તો પછી એના પર અંકુશ પ્રાપ્ત કરવાનું કામ અઘરું હોય છે.